પ્રાગટ્ય કથા
કડવા પાટીદાર કુળનાં કુળદેવી, રાજરાજેશ્વરી, આદિશક્તિ માતા ઉમિયાનાં સ્વયંભૂ પ્રાગટ્ય્નો આ ધન્ય દિવસ એટલે ભાદરવા સુદિ પુનમ, સંવત ૧૯૫૫.માન-સન્માન સાથે આ દિવ્ય પ્રતિમાને સીદસર ગામમાં લાવવામાં આવી. આખા ગામનાં અને આજુબાજુનાં વિસ્તારમાં માતા ઉમિયાની પ્રતિમાનાં પ્રાગટ્યની વાત વાયુવેગે ફેલાઇ ગઇ. લોકોનાં ટોળા ને ટોળા માતાજીનાં દર્શનાર્થે ઉમટી પડ્યા. જાણે માતા ઉમિયાનું પ્રત્યક્ષ અવતરણ થથેલ હોય તેવો આનંદ સર્વત્ર ફેલાય ગયો. એ વખતે ગોંડલના ધર્મપ્રેમી રાજા શ્રી ભગવતસિંહજીનું રાજ હતું. એમણે આ દિવ્ય મૂર્તિના પ્રાગટ્યનાં સમાચાર સાંભળ્યા. આ સંસ્કારી રાજાએ ગોંડલમાં એક ભવ્ય મંદિર બાંધી મૂર્તિનું તેમાં સ્થાપન કરવું, એમ વિચારી દૂતને સીદસર મોકલ્યો.
રાજાનાં દૂતે સીદસર આવીને મૂર્તિ ગોંડલ લઈ જવા વાત કરી. લોકોની અનિચ્છા છતાં રાજ આજ્ઞા ગણી પાંચ આગેવાનો મૂર્તિ લઇને ગોંડલ ગયા. પરંતુ મા ઉમિયાની ઇચ્છા કંઈક જુદી જ હતી. રાત્રે સ્વપ્નમાં માતાએ રાજાને જણાવ્યું કે, “રાજન ! ધરતીનાં પટ પર કામ કરતાં મારા બાળકો વચ્ચે મારે રહેવું છે, તેથી મને સીદસર પાછી પહોંચાડી દો!”ધર્મપ્રેમી રાજા માનભેર આ દિવ્યમૂર્તિને સીદસર પાછી પહોંચાડી. સીદસર ગામના લોકોનો ઉત્સાહ આ ઘટનાથી અનેક વધી ગયો. એક સાદા પણ પવિત્ર નાના મંદિરમાં માતાજીની મૂર્તિની શ્રદ્ધાંપૂર્વક સ્થાપના કરવામાં આવી.
માતાજીનાં એ ભોળિયા ભગત રત્નાબાપાએ ત્યારથી ફક્ત એક જ વસ્ત્ર પહેરીને માતાજીની આજીવન સેવામાં પોતાનું જીવન સમર્પિત કરવાનું વ્રત લીધું. માતાજીની પૂજા-અર્ચના કરતાં સંવત ૧૯૯૯માં માતાજીનાં પનોતા પુત્ર ભગતબાપા સ્વધામની અનંત યાત્રાએ ગયા. પરંતુ તેમનાં દ્વારા થયેલ આ દિવ્ય કાર્ય અને એમની નિષ્કામ ભક્તિની સુવાસ આજે પણ આપણને એમનાં પવિત્ર ચરણોમાં મસ્તક નમાવવા ફરજ પાડે છે. આજે સમસ્ત કડવા પાટીદાર સમાજ રત્નાબાપાનાં ચરણોમાં ભાવવંદના કરતાં ગૌરવ અનુભવે છે.